VIDEO: ચોટીલા પ્રાંત અધિકારીની બદલી સામે લોકોમાં રોષની લાગણી, આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલીના સમાચાર બાદ સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. બદલી રોકવાની માંગ સાથે આજે ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો પ્રાંત કચેરીએ ઉમટી પડ્યા હતા. સવારથી મોડી સાંજ સુધી કચેરી ખાતે લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, એચ.ટી. મકવાણાએ પ્રાંત અધિકારી તરીકે ફરજ દરમિયાન ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ખનીજ ખનન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાયા હોવાનો સ્થાનિકોનો દાવો છે. આ ઉપરાંત કરોડો રૂપિયાની સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં પણ મહત્વની કામગીરી કરવામાં આવી હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું.
લોકોએ કહ્યું કે, અધિકારીની કાર્યપદ્ધતિ સીધી નાગરિકોના હિતમાં રહી છે અને વિસ્તારના વિકાસ માટે આવા અધિકારીની જરૂર છે. તેમની બદલી બાદ ખનીજ અને જમીન માફિયાઓ ફરી સક્રિય થવાની ભીતિ પણ કેટલાક નાગરિકોએ વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ સરકાર સમક્ષ એચ.ટી. મકવાણાની બદલી અટકાવી તેમને ચોટીલામાં જ યથાવત રાખવાની માંગ કરી છે. જો બદલી રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જનઆંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

