સુરેન્દ્રનગરમાં તરણેતર મેળાના કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો, અજાણ્યા શખ્સોએ કારમાં પણ કરી તોડફોડ

સુરેન્દ્રનગરમાં તરણેતર મેળો પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. મેળા દરમિયાન 2500 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ બંદોબસ્ત પૂર્ણ થયા બાદ જ કોન્ટ્રાક્ટર પર હુમલો થતાં કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
કેમ ટેન્ડર નાખ્યું?’ કહી હુમલો
મળતી માહિતી મુજબ, તરણેતર મેળામાં લાઇટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર મેળો પૂર્ણ થયા બાદ પોતાની ગાડીમાં વતન તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમની કારનો પીછો કર્યો હતો. ત્યારબાદ ગાડી રોકાવીને ‘તેં કેમ ટેન્ડર નાખ્યું?’ તેમ કહી કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે.
બંને ઇજાગ્રસ્ત સારવાર હેઠળ
અજાણ્યા શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે કોન્ટ્રાક્ટરની કાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કારમાં સવાર કોન્ટ્રાક્ટર સહિત તેમની સાથે રહેલા એક વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો, જેમાં બંનેને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે થાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલો કરનારા શખ્સો કોણ હતા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

