VIDEO: Surendranagar / ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો; ભાજપના સંપર્કથી બચવા કોંગ્રેસે રાતોરાત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસોમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાની આશંકા વચ્ચે, કોંગ્રેસે પોતાના 47 જેટલા ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે મોડી રાત્રે રાજસ્થાન સરહદ નજીક આવેલા એક રિસોર્ટમાં રવાના કરી દીધા છે.
કોંગ્રેસે આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી. અજ્ઞાત સ્થળે મોકલાયેલા તમામ ઉમેદવારોના મોબાઈલ ફોન પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઉમેદવારોને 16 એપ્રિલ સુધી રાજ્ય બહાર જ રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોનો સંપર્ક કરી તેમને તોડવાના પ્રયાસો કરવામાં આવતા જ કોંગ્રેસ હાઈકમાન્ડ હરકતમાં આવ્યું હતું. કોંગ્રેસની રણનીતિ મુજબ, ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને સ્થિતિ થાળે પડ્યા પછી, એટલે કે 15 એપ્રિલ બાદ આ તમામ ઉમેદવારોને સુરેન્દ્રનગર પરત લાવવામાં આવશે. ત્યારબાદ મહાનગરપાલિકા વિસ્તારમાં જોરશોરથી પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવશે.

