VIDEO: રાજુ કરપડાનું મિશન 'તુલસીશ્યામ': ખેડૂતોના મુદ્દે સુરેન્દ્રનગરથી શક્તિ પ્રદર્શનનો પ્રારંભ!
VIDEO: ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.
ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ
યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા આવતીકાલથી શરૂ થઈને 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.
ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે.

