Video/ Surendranagarમાં ૩ લાખની જનતા ‘પ્લાસ્ટિકયુક્ત’ પાણી પીવા મજબૂર! નર્મદા કેનાલ પર જામ્યા પ્લાસ્ટિકના થર
સુરેન્દ્રનગરના ઝાલાવાડની જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોય તેવી સ્થિતિ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે. શહેરની ૩ લાખથી વધુ વસ્તીને પાણી પૂરું પાડતી મુખ્ય નર્મદા કેનાલમાં પ્લાસ્ટિકના કચરાનું સામ્રાજ્ય સ્થપાયું છે, જેના કારણે લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે.
કેનાલ પર પ્લાસ્ટિકની ‘ચાદર’
ઢાંકીથી ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી મુખ્ય નર્મદા કેનાલની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. કેનાલના પાણી પર પ્લાસ્ટિકની કોથળીઓ અને કચરાના એવા થર જામ્યા છે કે જાણે કેનાલ પર પ્લાસ્ટિકની ચાદર બિછાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ એ જ પાણી છે જે શુદ્ધિકરણ બાદ શહેરના ઘરો સુધી પહોંચે છે.
તંત્રની ઘોર બેદરકારી
એક તરફ સરકાર ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ પર પ્રતિબંધ અને પર્યાવરણ જાળવણીના મોટા-મોટા દાવા કરે છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન કેનાલમાં પ્લાસ્ટિકનો આટલો મોટો જથ્થો હોવા છતાં તંત્ર નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક રહીશોમાં આ બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્વાસ્થ્ય સામે મોટું જોખમ
પાણીમાં પ્લાસ્ટિકના વિઘટનથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ કણો (Microplastics) માનવ શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ૩ લાખની જનતા આ પાણીનો ઉપયોગ કરી રહી છે, ત્યારે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક જનતા અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર જાગે અને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનું બંધ કરી કેનાલની યોગ્ય જાળવણી કરે.

