Surendranagar news: વસ્તડી-વડોદ રોડ પર છોટા હાથી પલ્ટી જતા 1 યુવકનું મોત, 3થી વધુ ઈજાગ્રસ્ત

Surendranagar news: સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોનો સીલસીલો યથાવત્ છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વસ્તડી-વડોદ રોડ પર એક છોટા હાથી પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં માનવ જાનહાનિ પણ થતી હોવાનું સામે આવી રહ્યું છે. આજે 24મી સપ્ટેમ્બરે બુધવારે બપોરના સુમારે વસ્તડી-વડોદ રોડ પર એક છોટા હાથી પલટી જતા એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. પોલીસ અને 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. જેથી ઈજાગ્રસ્ત તમામને તાબડતોબ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં જુદાજુદા અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે.

