Surat News: આવતીકાલથી 8 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં પાણી કાપ, પુરવઠો ઓછો અને ઓછા દબાણે મળવાની સંભાવના

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આવેલી પાણીની ટાંકીનો વાલ્વ રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાઈડ્રોલિક વિભાગની અન્ય કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને પગલે પાલિકાના રાંદેર ઝોનમાં વરિયાવ વિસ્તારમાં 31 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો ઓછો અને ઓછા દબાણે મળશે. આ કામગીરી પૂરી થયા બાદ 9 ઓગસ્ટથી ફરીથી પાણી પુરવઠો રાબેતા મુજબ થશે.
લાઈન બદલવાની કામગીરી
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં વરીયાવ વાય જંકશન ખાતે આવેલ ઓવરહેડ ટાંકી આવેલી છે. હયાત 500 મી.મી. ડી.આઇ. ઇનલેટ વર્ટીકલ લાઇનમાં લીકેજ હોવાથી લાઇન બદલવાની કામગીરી હાથ ધરવા આયોજન કરવામાં આવ્યું છે. આ વાલ્વ અને લાઈન બદલવાની કામગીરી 31 જુલાઈથી શરૂ કરવામાં આવશે અને 8 ઓગસ્ટના રોજ કામગીરી પૂરી થશે.
જરૂર મુજબ ઉપયોગ કરવા અપીલ
આ કામગીરી દરમિયાન રાંદેર ઝોનના વરિવાય વિસ્તારમાં 31 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો ઓછા દબાણે અને ઓછો મળશે. આ સમય દરમિયાન આ વિસ્તારના લોકોને પાણી પુરવઠાનો કરકસર પુર્વ ઉપયોગ કરવા અને જરૂર મુજબનો જથ્થો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે.

