Video/ 55 કરોડના ખર્ચે બનેલા Suratના અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના પિલરમાં મોટી તિરાડો, લોખંડના સળિયા ખુલ્લા
સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજને લઈ ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બ્રિજના એક પિલરમાં મોટી તિરાડો પડતાં અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં મોટો ભય ફેલાયો છે.
9 વર્ષમાં 7 કરોડનું રિહેબિલિટેશન છતાં હાલત જર્જરિત
આ ઘટનાએ બ્રિજના નિર્માણ અને રિપેરિંગની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઓવરબ્રિજ 2016માં ₹55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. માત્ર 9 વર્ષના ટૂંકા ગાળામાં જ, બ્રિજને ₹7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન (સમારકામ) કરવામાં આવ્યું હતું. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે, થોડા સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને આ રિપેરિંગ કરાયું હતું.
આટલો મોટો ખર્ચ કરવા છતાં પિલરમાં તિરાડો પડવી અને સળિયા ખુલ્લા થવા તે રિપેરિંગની ગુણવત્તા અને તેના બાંધકામમાં સંકળાયેલી એજન્સી તથા અધિકારીઓની કામગીરી પર મોટો સવાલ છે.
SMC પાસે તાત્કાલિક વૈજ્ઞાનિક ચકાસણીની માગ
પિલરમાં તિરાડો દેખાતા જ લોકોમાં ગભરાટ ફેલાયો છે, જેને પગલે સુરત મનપા (SMC) પાસે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગ ઊભી થઈ છે. હાલની સ્થિતિ જોતાં, SMC દ્વારા સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી (structural audit) કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.

