SURAT NEWS: સરથાણા તક્ષશિલા અગ્નિકાંડને આવતીકાલે પૂર્ણ થશે 7 વર્ષ, પરિવારજનો આજે પણ ન્યાયની રાહમાં

સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે વર્ષ 2019માં બનેલી હૃદયદ્રાવક અગ્નિકાંડ ઘટનાને આવતીકાલે સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. પરંતુ આ સાત વર્ષ બાદ પણ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને હજુ સુધી સંપૂર્ણ ન્યાય મળ્યો નથી. આજે પણ પરિવારજનો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓ આગની જ્વાળાઓમાં જીવતા હોમાયા હતા. પરિવારજનોનો આરોપ છે કે ડીજીવીસીએલ અને ફાયર વિભાગની ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાએ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા હતા.

આજે ઘટનાના સાત વર્ષ પૂર્ણ થવાના એક દિવસ પહેલા સરથાણા ખાતે બનાવવામાં આવેલા સ્મારક પર પરિવારજનો ભેગા થયા હતા. સ્મારકમાં 22 વિદ્યાર્થીઓના ફોટા લગાવવામાં આવ્યા છે, જેને જોઈ પરિવારજનો ભાવુક બની ગયા હતા. ઘણા પરિવારજનોની આંખોમાં આંસુઓ જોવા મળ્યા હતા.
મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, “7 વર્ષ વીતી ગયા પરંતુ એકપણ દિવસ એવો નથી ગયો જ્યારે આ ઘટના યાદ ન આવી હોય. અમારા માટે આ 7 વર્ષ એટલે 100 વર્ષ સમાન છે. આજે પણ અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ.”
પરિવારજનોનું કહેવું છે કે ઘટનાના જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓએ સરકાર અને તંત્ર પાસે ફરી એકવાર માંગ કરી છે કે કેસની ઝડપી સુનાવણી કરીને દોષિતોને કડક સજા આપવામાં આવે.
તક્ષશિલા અગ્નિકાંડની આ દુઃખદ યાદ આજે પણ સુરતવાસીઓના મનમાં જીવંત છે અને પરિવારજનોને હજુ પણ ન્યાયની આશા છે.

