Surat News: ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકાયાનો મામલો, AAPએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ-કોંગ્રેસને આડે હાથ લીધી

જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવામાં આવ્યું હતુ. આ મામલાની ગુજરાતભરમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા દ્વારા પ્રેસ કોંફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતુ કે, આ ઘટના ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર હતું. ગઇ કાલની ઘટના વિચારવા જેવી ઘટના છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ચાલુ ત્રણ કોર્પોરેટરને પક્ષમાં જોડ્યા છે.
પોલીસ સાથે મળીને આ આગોતરું આયોજન હતુ
તેમણે જણાવ્યું કે, જામનગર કોંગ્રેસ માટે કોઈ ગ્રાઉન્ડ વધ્યું નથી. આ હુમલા પહેલા જ એક ષડયંત્ર રચ્યું હતું. હર્ષભાઈની પોલીસ સાથે મળીને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિ પર જ પોલીસની નજર હતી. ઈશારો થયા એટલે તાત્કાલિક પોલીસ હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી. કહ્યું કે, પોલીસની ફરજ MLAની સુરક્ષાની હતી પણ અહીંયા ઊલટું જોવા મળ્યું.
"બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું"
તેમણે એમ પણ કહ્યું કે, એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલીયાને કેટલું લાગ્યું તે પૂછ્યું નહીં. આજે જામનગરમા કોંગ્રેસનું ગ્રાઉન્ડ પૂરું થતા ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ કામ કર્યું. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધે છે એટલે બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું.
"આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલાઓ થાય છે"
નર્મદા, ભરૂચ, ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલાઓ થાય છે. આમ આદની પાર્ટીને ગુજરાતમાં રોકવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે. આ ઘટનાને સામાન્ય ઘટના તરીકે જનતા ગણતી નથી. આમ આદમી પાર્ટી સતત આ બાબતે સંઘર્ષ કરશે.
"ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ ભ્રષ્ટાચાર કરાયો નથી"
કહ્યું કે, ગોપાલે અગાઉ ગૃહમંત્રી પર ફેંક્યું હતું જુતું, જે તે સમયે ગુજરાતની સિસ્ટમમાં રહેલા વ્યક્તિઓ પર ગુજરાતની પરિસ્થિતિ બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા વિરોધ કરાયો હતો. પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ ભ્રષ્ટાચાર કરાયો નથી, તેઓ લોકોના હિતની વાત કરવાના હતા.
આમ આદમી પાર્ટી ઇન્ડિયા અલાયન્સ સાથે નથી: સોરઠિયા
કોંગ્રેસ અને AAPના ગઢબંધન અંગે નિવેદન આપ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિ તરીકે ઇન્ડિયા અલાયન્સની નિમણૂંકમાં તેમની સાથે રહ્યા હતા. પણ હવે આમ આદમી પાર્ટી ઇન્ડિયા અલાયન્સ સાથે નથી. આજે AAP કોંગ્રેસ કરતા આગળ વધી લોકોની પસંદગી બની છે, આ કારણે કોંગ્રેસને પેટમાં દૂખે છે. AAPના કારણે કોંગ્રેસને પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું છે. એટલા માટે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને AAPનો વિરોધ કરે છે.

