Video/ Jamnagarમાં ગોપાલ ઈટાલીયા પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહની GSTV સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું?
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલીયા પર જૂતું ફેંકવાની ઘટના બાદ ચર્ચામાં આવેલા છત્રપાલસિંહ જાડેજાએ GSTV સાથેની ખાસ વાતચીતમાં સનસનીખેજ ખુલાસાઓ કર્યા છે. છત્રપાલસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે તેમણે આ કૃત્ય તાત્કાલિક ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકાયું હતું, તેનો બદલો લેવા માટે કર્યું હતું.
'બદલો લીધો' હોવાનો દાવો
છત્રપાલસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "આ જૂતું ફેંકવાનું પગલું મેં માત્ર પ્રદીપસિંહ જાડેજાવાળી ઘટનાનો બદલો લેવા માટે ભર્યું છે. ઘણા વર્ષોથી આ વાત મારા મનમાં ખટકતી હતી, અને હવે મને તક મળી."
રાજકીય ઈશારાના આરોપો પર સ્પષ્ટતા
આ ઘટના બાદ છત્રપાલસિંહ પર પોલીસ કે કોઈ રાજકીય પક્ષના ઈશારે આ કૃત્ય કર્યું હોવાના આરોપો લાગ્યા હતા. આ અંગે છત્રપાલસિંહે સ્પષ્ટતા કરી હતી કે, "મેં કોઈના ઈશારે આ કામ કર્યું નથી. આ સંપૂર્ણપણે મારો વ્યક્તિગત નિર્ણય હતો, જે પ્રદીપસિંહ પરના હુમલાના વિરોધમાં હતો."
વાયરલ ફોટો પર ખુલાસો
ગોપાલ ઈટાલીયા પર હુમલો કર્યા બાદ છત્રપાલસિંહ જાડેજાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સાથેનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અંગે પણ છત્રપાલસિંહે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "હેમંત ખવા એક સમયમાં મારા સારા મિત્ર હતા. કોઈની સાથે ફોટા હોવા માત્રથી તેમનું કે મારું આ ઘટના સાથે કોઈ કનેક્શન હોઈ શકે નહીં." આ સમગ્ર મામલે છત્રપાલસિંહે પોતાના કૃત્યને 'બદલા' તરીકે રજૂ કરીને રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે

