Surat: સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર, દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની ભેળસેળનો ખુલાસો

સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયું છે.
સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા લેવામાં આવેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થતાં હડકંપ મચી ગયો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ પનીર દૂધમાંથી નહીં, પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવ્યું હતું, જે સીધું શહેરવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા પૃથક્કરણમાં ઘણી ગંભીર ખામીઓ સામે આવી છે.
આરોગ્ય અધિકારી બી. આર ભ્રમભટએ જણાવ્યું હતું કે, ધારાધોરણ મુજબ પનીરમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, તેની સામે આ નમૂનામાં તે માત્ર 35% જ માલુમ પડ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રિપોર્ટમાં બીટા-સિટોસ્ટેરોલની હાજરી મળી આવી છે, જે પનીરમાં એબ્સન્ટ હોવું જોઈએ. પનીરમાં દૂધને બદલે સ્ટાર્ચની માત્રા પણ મળી આવી છે. જે સ્પષ્ટપણે પનીર બનાવવામાં ભેળસેળ કરાઈ હોવાનું સાબિત કરે છે.

