સુરતમાં કાયદો-વ્યવસ્થા કથળી; ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ઘાતકી હત્યા

સુરતમાં કાયદો-વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઉભા કરતો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ, આરોપીઓએ બિલ્ડર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંક્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
તબીબોએ બિલ્ડરને મૃત જાહેર કર્યા
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ફૈઝલ ફટ્ટાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને હુમલામાં કેટલા આરોપીઓ સંડોવાયેલા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. બિલ્ડરની હત્યાની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

