VIDEO: Surat / હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે કરી બેઠક, કાળાબજારી કરનારા સામે કડક કાર્યવાહીના આદેશ!
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગેસની અછતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને ઉદ્યોગ જગતમાં સર્જાયેલી હાલાકી વચ્ચે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગેસ પુરવઠો, કારીગરોના પ્રશ્નો અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ઉદ્યોગકારોને પડતી નાની-મોટી મુશ્કેલીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે:અફવાઓ વચ્ચે કારીગરોને હાલાકી ન પડે તે માટે ઇન્ડસ્ટ્રીઝમાં કિચનની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે, જેથી આગામી સમયમાં કોઈ તકલીફ ન પડે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોઈએ પણ ગેસ કે ઇંધણની અછત અંગેની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી.
સરકારે અફવાખોરો અને કાળાબજારી કરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. ખોટી અફવા ફેલાવનાર સામે ગંભીર ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અલગ-અલગ જિલ્લાઓમાં સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, જે સતત અફવાઓ પર નજર રાખી રહી છે અને ત્વરિત એક્શન લઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની કાળાબજારી કરતા ઈસમો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા અનેક તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

