Suratનું કડોદ ગામ હિબકે ચડ્યું; અન્નપૂર્ણા-૩ સર કરીને હિમવર્ષામાં મોતને ભેટેલા પિતા-પુત્રીની અંતિમયાત્રા નીકળી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પિતા અને પુત્રીની સાહસિક પર્વતારોહણની યાત્રાનો કરુણ અંત આવ્યો છે. નેપાળ ખાતે પર્વતારોહણ માટે ગયેલા આ પિતા-પુત્રીનું હિમવર્ષામાં દબાઈ જવાથી અવસાન થયું હતું. આજે કડોદ ગામેથી તેમની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.
અન્નપૂર્ણા-3 સર કરીને લહેરાવ્યો હતો તિરંગો
બંને પર્વતારોહકોએ નેપાળમાં સ્થિત અન્નપૂર્ણા-3 પર્વતમાળા સર કરી હતી અને લગભગ 23 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા. આ સિદ્ધિની ઉજવણી રૂપે તેમણે ત્યાં તિરંગો પણ લહેરાવ્યો હતો. જોકે, સિદ્ધિ હાંસલ કર્યા બાદ ત્યાં ભારે હિમવર્ષા શરૂ થઈ હતી, જેના કારણે પિતા અને પુત્રી બંને બરફમાં દબાઈ જતાં તેમનું મૃત્યુ થયું હતું.
હવાઈ માર્ગે મૃતદેહ લવાયા
આ દુઃખદ ઘટના બાદ ગત રોજ તેમના મૃતદેહને કાઠમંડુથી મુંબઈ સુધી હવાઈ માર્ગે લાવવામાં આવ્યા હતા. આજે તેમના પાર્થિવ દેહને વતન કડોદ ગામે લાવવામાં આવતાં ગામના માર્ગો પર શોકનો માહોલ છવાયો હતો. જે પિતા-પુત્રી પોતાના સાહસ અને સિદ્ધિ માટે જાણીતા હતા, તેમની એકસાથે નીકળેલી અંતિમ યાત્રાએ આખા ગામને રડાવ્યું હતું.

