નેપાળમાં ટ્રેકિંગ દરમ્યાન લાપતા થયેલા બારડોલીના પિતા-પુત્રીનાં મૃતદેહો મળ્યા, પરિજનોનું હૈયાફાટ રુદન

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પિતા અને તેમની પુત્રી નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા અન્નપૂર્ણા પર્વત-3ના ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા હતા. પિતા-પુત્રીનો બે અઠવાડિયાથી વધુ સમયથી સંપર્ક ન થતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ભારે શોધખોળ બાદ બંને પિતા-પુત્રીના મૃતદેહ મળી આવતા પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે.
ટ્રેકિંગનો પ્રવાસ અને સંપર્ક તૂટ્યો
મળતી માહિતી અનુસાર, કડોદના રહેવાસી જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિનીએ 14મી ઓક્ટોબરે કડોદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તે 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા સુરતથી ગોરખપુર પહોંચ્યા, 17મી ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરીને કાઠમંડુ પહોંચ્યા હતા. 18મી ઓક્ટોબરે બસ દ્વારા બસીશેર થઈને તેઓ મનાંગ ગયા. બે દિવસ હોટલમાં રોકાયા પછી તેણે 21મી ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે અન્નપૂર્ણા પર્વત-3 માટેનો તેમનો ટ્રેક શરૂ કર્યો. ટ્રેકિંગ કરતા કરતા બંને ઊંડી ખીણમાં પડી જવાથી તેમનું કરુણ મોત નીપજ્યું છે.
ભારે હિમવર્ષાના કારણે ફસાયા
26મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર દરમિયાન મનાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષા આ પિતા-પુત્રી માટે અવરોધરૂપ બની હતી. હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે તેમનું પરત ફરવું અશક્ય બન્યું અને પરિવાર સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો. પતિ અને પુત્રીનો સંપર્ક ન થતાં પરિવારે PMO અને વિદેશ મંત્રાલયને મદદની ગુહાર લગાવતા આર્મીએ તાત્કાલિક શોધખોળ હાથ ધરતા બંનેના મૃતદેહો મળી આવ્યા છે.

