VIDEO: Trumpના ટેરિફથી હીરા ઉદ્યોગ બેહાલ, ડાયમંડ વર્કર યુનિયને PM સહિત કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ નાખવામાં આવ્યો છે. જેની સીધી અસર હીરા ઉદ્યોગને થવાની છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડલિયા તેમજ વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખી અમેરિકાના ટેરીફને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
રત્નકલાકારોની રોજગારી જોખમમાં
યુનિયને જણાવ્યું છે કે અમેરિકાના ટેરીફના કારણે હીરા ઉદ્યોગ પર મોટો આર્થિક આઘાત પડશે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાં ચાલી રહ્યો છે, જેના પરિણામે અત્યાર સુધીમાં 80થી વધુ રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. નવા ટેરીફના કારણે લાખો રત્નકલાકારોની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે અને બેરોજગારીના કારણે આત્મહત્યાના બનાવોમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
25 લાખ રત્નકલાકારોને થશે સીધી અસર
ગુજરાતમાં આશરે 25 લાખ રત્નકલાકારો કાર્યરત છે, જેમાં માત્ર સુરતમાં જ 7 થી 10 લાખ જેટલા રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે. સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં નાના થી મોટા સ્તરે હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે.યુનિયને કેન્દ્ર સરકારને માંગ કરી છે કે હીરા ઉદ્યોગને બચાવવા અને રત્નકલાકારોની રોજગારી કાયમ રહે તે માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે. સાથે સાથે, દુનિયાના અન્ય દેશોમાં જ્વેલરી તેમજ હીરા માર્કેટના વ્યાપ અને નિકાસ વધારવા માટે પ્રોત્સાહન અને પ્રયત્નો કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.આ પત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટેરીફ લાગવાથી માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ ગુજરાતની આર્થિક સ્થિતિ ઉપર પણ ગંભીર અસર થવાની સંભાવના છે.

