Surat/ ભેસ્તાનમાં ઝાડ સાથે લટકતી અજાણ્યા ઈસમની લાશ મળી, પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો

આર્થિક પાટનગર સુરતમાં કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં બાલકૃષ્ણ સોસાયટી નજીક એક અજાણ્યા ઇસમની લાશ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ભેસ્તાન પોલીસના પેટ્રોલિંગ પર સવાલ
આ ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી. જોકે, આ વિસ્તારમાં મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા સ્થાનિકો અને નાગરિકો દ્વારા પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સુરત પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે જાહેર વિસ્તારમાં અજાણ્યા ઇસમનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળી આવવો એ પોલીસની સતર્કતા અને પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોના મતે, પોલીસની નિષ્ક્રિયતાને કારણે આ ઘટના વહેલી સવારે બહાર આવી છે.
ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર: તપાસ શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તેની ઓળખ પ્રસ્થાપિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આ બનાવ આત્મહત્યાનો છે કે પછી કોઈ અનિચ્છનીય ઘટના, તે જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પૂરાવાઓના આધારે જ આ રહસ્યમય મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકશે

