Surat / બેંક લોનના રિકવરી એજન્ટોના ત્રાસથી કંટાળી 25 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

સુરત શહેરમાં બેંક લોનના રિકવરી એજન્ટોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેનો ભોગ વધુ એક નિર્દોષ યુવતી બની છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષની સંજના નામની યુવતીએ બેંક એજન્ટોના સતત માનસિક ત્રાસથી કંટાળીને મકાનની અગાશી પરથી કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં આવેલ શ્રીકૃષ્ણ હેરિટેજમાં રહેતી 25 વર્ષીય સંજનાએ રવિવારે બપોરે બિલ્ડિંગ પરથી પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સંજનાના પરિવાર પર હોમ લોન અને બે કાર લોન ચાલી રહી હતી, જેના હપ્તાની વસૂલાત માટે રિકવરી એજન્ટો અવારનવાર ઘરે આવી માનસિક ત્રાસ આપતા હતા. આ સતત પજવણીથી કંટાળીને યુવતીએ અંતિમ પગલું ભર્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

