Video: Himmatnagarમાં 8 મહિનાની સગર્ભાએ 10મા માળેથી મુક્યું પડતું, દહેજના દુષણે માસુમ બાળકીના માથેથી છીનવી માતાની છત્રછાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દહેજ અને સાસરિયાના ત્રાસથી 35 વર્ષીય ગર્ભવતી મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. જેના કારણે પરિવારમાં ભારે શોકનો માહોલ છે. મૃતક શર્મિષ્ઠા પરમારના પેટમાં આઠ મહિનાનું બાળક પણ હતું, મહિલાના મોથી તેમની નાની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલાના પરિવારજનોએ સાસરિયાઓ સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
શર્મિષ્ઠા પરમાર હિંમતનગરના સિવિલ ક્વાર્ટર્સના 10મા માળેથી નીચે પડતું મુક્યું હતું. તેઓ હિંમતનગરમાં રહેતા હતા અને શંકર પરમાર સાથે લગ્ન થયા હતા. મૃતકના ભાઈ વિજયભાઈ પરમાર અને સ્વજન અનિલ પરમારે જણાવ્યું કે, શર્મિષ્ઠા લગ્ન પછીથી જ સાસરિયાઓના ત્રાસને કારણે માનસિક તણાવમાં જીવતી હતી. તેઓ અવાર-નવાર દહેજ તરીકે રૂપિયાની માંગ કરતા. અને માનસિક ત્રાસ આપતા હતા.
મૃતકની બહેન હેતલબેન જયંતીભાઈ પરમારે હિંમતનગરના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 108 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણ) અને 54 (દહેજ આતંક) હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં શામેલ છે:
1. શંકર કરશન પરમાર (પતિ)
2. અતુલ કરશન પરમાર (દીયર)
3. કરશન રામા પરમાર (સસરા)
4.જ્યોત્સના કરશન પરમાર (સાસુ)
આ તમામ આરોપીઓ હિંમતનગરના મહેતાપુરા, રોયલ રેસિડેન્સીમાં રહે છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

