Sabarkantha / હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત: બળવંતપુરા નજીક ટ્રેનની અડફેટે આવતાં 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા બળવંતપુરા નજીક એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અસારવાથી ઉદયપુર જતી ટ્રેનની અડફેટે આવી જતાં 17 વર્ષીય વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતક યુવતીના પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
મૃતક નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી
મળતી માહિતી અનુસાર, અસારવાથી ઉદયપુર જતી વીર ભૂમિ એક્સપ્રેસ ટ્રેન જ્યારે હિંમતનગરના બળવંતપુરા નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી ધ્રુવી મિસ્ત્રી અચાનક ટ્રેનની ચપેટમાં આવી ગઈ હતી. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતું.
આઈકાર્ડ અને બેગ પરથી વિદ્યાર્થિનીની થઈ ઓળખ અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ સ્થળેથી યુવતીનું આઈકાર્ડ અને કોલેજ બેગ મળી આવ્યા હતા, જેના આધારે તેની પ્રાથમિક ઓળખ થઈ શકી હતી. મૃતક ધ્રુવી હિંમતનગરના જલારામ મંદિર વિસ્તારમાં રહેતી હતી અને નર્સિંગનો અભ્યાસ કરતી હતી.
પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી બનાવ અંગેની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. 17 વર્ષીય દીકરીના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ વ્યાપી ગયો છે.

