Sabarkantha: ખેડબ્રહ્મામાં હૃદયદ્રાવક ઘટના; હરણાવ નદી પાસેના ખેતરમાં ઝાડ પર યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યાં

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાંથી વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા નજીકથી પસાર થતી હરણાવ નદીના પટ પાસે આવેલા એક સીમ વિસ્તારના ખેતરમાંથી 28 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં સનાટો વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો ઉચ્ચ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ભેંસો ચરાવવા ગયેલા ખેડૂતે જોયા મૃતદેહ
મળતી માહિતી અનુસાર, આ ગમખ્વાર ઘટના ખેડબ્રહ્મા નજીક સીમ વિસ્તારમાં આવેલા સ્થાનિક ખેડૂત શૈલેષ ઠાકોરના ખેતરમાં બની હતી. રોજિંદા ક્રમ મુજબ, વહેલી સવારે જ્યારે તે પરિવારજનો ભેંસો લઈને ખેતર તરફ ગયા હતા, ત્યારે ખેતરમાં લોકોની અણધારી ભીડ જોવા મળી હતી. નજીક જઈને જોતા ખેતરમાં આવેલા એક ઝાડ પર અજાણ્યા પુરુષ અને મહિલાના મૃતદેહ લટકી રહ્યા હતા. આ દ્રશ્ય જોતાં જ તેમણે તાત્કાલિક ખેડૂત શૈલેષભાઈ અને ખેડબ્રહ્મા પોલીસને આ અંગે માહિતગાર કર્યા હતા.
મૃતકોની થઈ ઓળખ
ઘટનાની ગંભીરતાને પગલે ખેડબ્રહ્મા ટાઉન પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.વી. હડાત સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને નીચે ઉતારી તેમની ઓળખ વિધિ હાથ ધરી હતી, જેમાં મૃતકોની ઓળખમાં મૃતક પુરુષ દીધિયા ગામના મિનેશ ખોખરીયા જેની (ઉંમર 28) હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતક મહિલા (ઉંમર 21) ચીખલા ગામની ભાણી હોવાનું જણાયું છે. રવિનાબેન છેલ્લા ઘણાં વર્ષોથી ચીખલા ખાતે તેમના મામાના ઘરે રહેતા હતા, જ્યારે તેમનું મૂળ વતન માકડ ચંપા છે.
પોલીસે શરૂ કર્યું તપાસનું ચક્ર
પ્રાથમિક દ્રષ્ટિએ આ આપઘાતનો મામલો હોવાનું લાગી રહ્યું છે, પરંતુ યુવક-યુવતીએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટ મોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પીઆઈ ડી.વી. હડાતના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, મૃતકોના પરિવારજનોની પૂછપરછ અને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

