VIDEO: અષાઢી બીજે નીકળશે ૫ કિમી લાંબી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા
સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર નગર ઇડરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની ૨૮મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે યોજાવા જઈ રહી છે. આ ધાર્મિક મહોત્સવને શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટા રામધ્વારા મંદિરથી પ્રસ્થાન કરનારી આ અંદાજે ૫ કિલોમીટર લાંબી રથયાત્રામાં આકર્ષક ટેબ્લો, અખાડા અને વિશાળ ભક્ત સમુદાય જોડાશે. સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) પાર્થરાજસિંહ ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. આ વર્ષે રથયાત્રાના મોનિટરિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે, જેમાં પોલીસ જવાનો બોડીવોર્ન કેમેરાથી સજ્જ હશે અને ડ્રોન કેમેરા તેમજ 'નેત્રમ' કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર રૂટનું પળેપળનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી અગાઉ જ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ પ્રશાસન દ્વારા આગામી ૧૬મી તારીખે યોજાનારી આ રથયાત્રામાં તમામ નગરજનોને ભક્તિભાવપૂર્વક જોડાવા અને શાંતિ જાળવવામાં પૂરતો સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવી છે.

