Video/ Rajkotમાં થોરાળા પોલીસ સ્ટેશન પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પોલીસ સ્ટેશનની પાછળ જ લાગી આગ
મળતી માહિતી મુજબ, થોરાળા પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસ સ્ટેશનની નજીક જ આગ હોવાથી પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી
આગની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગને કારણે ઝૂંપડામાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોઈ જાનહાનિ નહીં
આગની આ ઘટનામાં સદનસીબે કોઈ વ્યક્તિ દાઝી નથી કે કોઈ જાનહાનિના સમાચાર નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉદયભાઈ કાનગડ તાત્કાલિક પીડિત પરિવારોની મદદે પહોંચ્યા
રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની કમનસીબ ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તાત્કાલિક પીડિત પરિવારોની મદદે પહોંચ્યા હતા. આગને કારણે જે પરિવારોએ પોતાનું ઘરબાર ગુમાવ્યું છે, તેમની મુલાકાત લઈ ધારાસભ્યએ સાંત્વના પાઠવી હતી.
ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે માનવતાના ધોરણે અંગત રીતે 15 પરિવારોને પ્રત્યેકને 5000 રૂપિયાની આર્થિક સહાય આપી તાત્કાલિક મદદ પૂરી પાડી હતી. આ સાથે જ તેમણે વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી અને આગામી સમયમાં જરૂરી તમામ સરકારી મદદ અપાવવાની ખાતરી પણ આપી હતી.

