Rajkot news: ઉપલેટા તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં 4 હજાર કિલો અનાજની ઘટ, પુરવઠા વિભાગે કરી કાર્યવાહી

રાજકોટના ઉપલેટાના જામ ટીંબડી ગામે રસ્તા અનાજની દુકાનમાં ચાર હજાર કિલો અનાજની ઘટ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે. જામ ટીંબડી ગામે કેટલાક મહિનાથી ગરીબ લાભાર્થીઓને પુરુતુ અનાજ મળતુ ન હતું અને દુકાનદારોની ગેરવર્તણુકની ફરિયાદો ઉઠતી હતી. જે બાદ અચાનક મામલતદારની ટીમ જામ ટીંબડી ગામે પહોંચી તપાસ કરતાં ચાર હજાર કિલો સસ્તા અનાજની ઘટ આવતા દુકાનને સીઝ કરાઈ છે. આ અનાજ કૌભાંડ સામે આવતા મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
દુકાને બેસતા ઇસમો અનાજના જથ્થા પર થૂંકતા હોવાનો આરોપ
લક્ષ્મીબેન રામજીભાઈ વારસંકિયા નામની સસ્તા અનાજની દુકાન પર આજે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. લાભાર્થીઓનો આક્ષેપ છે કે સંચાલકો દ્વારા તેમને પૂરતું અનાજ આપવામાં આવતું નથી અને જ્યારે અનાજ માંગે ત્યારે તેમની સાથે તોછડું વર્તન કરવામાં આવે છે. એટલું જ નહીં, મહિલાઓએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે દુકાન પર બેસતા ઇસમો અનાજના જથ્થા પર ફાકી ખાઈને થૂંકે છે. આવા અનાજને દળાવીને ખાવું કેમ?
પુરવઠા વિભાગે દુકાન સીઝ કરવાની કાર્યવાહી કરી
ડેપ્યુટી મામલતદાર જે.એન. કરંગીયાએ તપાસ હાથ ધરતા મોટું કૌભાંડ સામે આવ્યું છે. તપાસ દરમિયાન રેકોર્ડ પરના સ્ટોક અને હાજર સ્ટોકમાં મોટો તફાવત જોવા મળ્યો છે. તપાસમાં અંદાજે 4000 કિલો જેટલું અનાજ ઓછું મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ પુરવઠા વિભાગે દુકાન સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, ગ્રામજનો અને સરપંચની એક જ માંગ છે કે આ પરવાનેદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવે અને ગામને કોઈ નવો અને ઈમાનદાર સંચાલક ફાળવવામાં આવે, જેથી ગરીબ માણસોને તેમના હક્કનું અનાજ સમયસર મળી રહે.

