Rajkot News: આજી નદીના કાંઠા વિસ્તારને લઇને કોંગ્રેસની પત્રકાર પરિષદ, ડીમોલેશન માટે નોટિસ આપતા રાજકારણ ગરમાયું
રાજકોટમાં કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. શહેરના આજી નદીના કાંઠા વિસ્તારને લઇને આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પરિષદમાંથી મળતી માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના નામે છેલ્લા ઘણા વર્ષોથી ડીમોલેશન માટે નોટીસ આપવામાં આવે છે. ચૂંટણી નજીક આવતા ડીમોલેશન માટે નોટિસ આપતા રાજકારણ ગરમાયું છે.
આ પરિષદમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે, ગુજરાતમાં થોડા સમયથી અદાણી એટલે કે સહુકારોની સરકાર કામ કરતી હોય તેવું લાગે છે. અનેક લોકોને ઘર વિહોણા કરવાનું કામ કરવામાં આવ્યું છે. આજી નદી કિનારે વસતા 50 ટકા હિન્દુ અને 50 ટકા મુસ્લિમોને મકાન દૂર કરવાની નોટિસ અપાઈ છે. દસ્તાવેજ વાળા મકાન પર PPP યોજનાના નામે સરકારે પડાવી લીધા છે. ગરીબ માણસ વગર શહેરનો વિકાસ શક્ય હોતો નથી.
વધુમાં કહ્યું કે, સિસ્ટમ ઊભી કરવાનો ભાગ રહેલા વિજય રૂપાણીને પણ કેટલી તકલીફ પડી હતી તે યાદ રાખવાની જરૂર છે. સામાન્ય માણસ શાંતિથી રહી શકે તે વિકાસ છે, નહિ કે વેચાણ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે તે. બે ટંકનું ખાવાનું જેના પર આધારિત છે તે પણ છીનવતા ભાજપને શરમ આવતી નથી. ગુજરાત ગાંધી અને સરદારને જન્મ આપી શકે છે તે ભાજપે ન ભૂલવું જોઈએ.
તેમણે જણાવ્યું કે, શુક્રવાર (26 ડિસેમ્બર)ના રોજ બપોરે 2 વાગ્યે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, આ પછી કલેકટર અને પોલીસ કમિશનર મળીને રજૂઆત કરવામાં આવશે.

