Rajkotનો મેળો ફરી ચકડોળે ચડ્યો, કલેક્ટરે પરિપત્ર જાહેર ન કરતા રાઇડ્સની મંજૂરી પર ઉઠ્યા સવાલ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આગામી 14 મી ઓગસ્ટ થી 18 મી ઓગસ્ટ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે શરૂઆતથી જ લોકમેળો ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ યાંત્રિક રાઈડ સહિતના બાબતે એસઓપી તૈયાર કરવામાં આવી છે. જે એસઓપીનું પાલન ટેમ્પરરી લોકમેળામાં તેમજ પ્રાઇવેટ મેળામાં કરવું અશક્ય હોવાનું યાંત્રિક રાઈડના સંચાલકો ઘણા સમયથી કહી રહ્યા છે. યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા યાંત્રિક રાઇડ ઉભી કરતા સમયે ફાઉન્ડેશન બનાવવાની વાત હતી તેમાં વૈકલ્પિક છૂટછાટ આપવામાં આવી છે. તેમજ બાકીના નિયમોમા બાંધછોડ કરવી કે કેમ તેનો નિર્ણય સ્થાનિક તંત્ર પર છોડ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા યાંત્રિક રાઈડના સંચાલકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેમજ જરૂરી ડોક્યુમેન્ટની જગ્યાએ સોગંદનામુ, યાંત્રિક રાઇડનું ડ્રોઈંગ, એન્જિનિયરનું સર્ટિફિકેટ આપ્યા બાદ યાંત્રિક રાઈડની મંજૂરી મળી જશે તેવું મૌખિક રીતે જણાવ્યું હતું. જોકે, યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા જ્યારે R&B ના યાંત્રિક વિભાગ પાસે મંજૂરી લેવા ગયા ત્યારે R&B ના અધિકારીઓ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, હજુ સુધી કલેક્ટર તંત્ર દ્વારા અમને લેખિતમાં જાણ કરવામાં નથી આવી. તેમજ અગાઉ સરકાર દ્વારા બનાવવામાં આવેલ એસોપીમાં સ્થાનિક કક્ષાએથી આપવામાં આવી છે તે બાબતનો પરિપત્ર પણ જાહેર કરવામાં નથી આવ્યો. આમ સરકારી તંત્રના એક વિભાગ દ્વારા બીજા વિભાગને ખો આપવામાં આવતા યાંત્રિક રાઇડના સંચાલકો હાલ ચકડોળે ચડ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. ત્યારે આગમી સમયમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યાંત્રિક રાઇડ સાથે યોજાઇ છે કે પછી યાંત્રિક રાઇડ વગર તેવું જોવું રહ્યું.

