કાકા-કાકીની અંતિમવિધિમાં પહોંચેલા ભત્રીજાના ચિતા પાસે જ શ્વાસ થંભી ગયા, એક જ પરિવારના ત્રણ મોતથી કલ્પાંત

Dhoraji Tragedy News : ધોરાજીમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં કાકા-કાકીની અંતિમયાત્રામાં સામેલ થયેલા સગા ભત્રીજાનું પણ સ્મશાનગૃહમાં જ હૃદયરોગના હુમલાથી કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બે દિવસના ટૂંકા સમયગાળામાં એક જ પરિવારમાં ત્રણ-ત્રણ મોતના અણધાર્યા બનાવોથી સમગ્ર પંથકમાં ઘેરો કલ્પાંત અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
કાકા-કાકીની ચિતા પાસે જ ભત્રીજાના શ્વાસ અટક્યાં
પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીના જમનાવાડ રોડ પર રહેતા જીતુભાઈ રાવરાણી અને મધુબેન રાવરાણી નામના આઘેડ દંપતીએ બે દિવસ પહેલાં અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આજ રોજ જ્યારે આ બંનેની અંતિમયાત્રા નીકળી હતી, ત્યારે હિન્દુ રિવાજ મુજબ તેમની અગ્નિસંસ્કાર વિધિ માટે 'દોણી' પકડીને તેમના 41 વર્ષીય ભત્રીજા દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી ગયા હતા.
સ્મશાનગૃહમાં જ હૃદયરોગનો પ્રચંડ હુમલો આવતા મોત
જ્યારે સ્મશાનગૃહમાં કાકા-કાકીની અંતિમવિધિ ચાલી રહી હતી, તે જ ટાણે અચાનક દીપકભાઈને છાતીમાં જોરદાર દુખાવો ઉપડ્યો હતો અને તેઓ સ્મશાનગૃહમાં જ ઢળી પડ્યા હતા. તેમને તત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. કાકા-કાકીના દુઃખદ અવસાનના આઘાતમાંથી પરિવાર બહાર પણ નહોતો આવ્યો ત્યાં યુવાન ભત્રીજાના અચાનક મોતના સમાચારથી ઘરમાં માતમ છવાઈ ગયો હતો અને સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

