VIDEO: રથયાત્રામાં રથ ખેંચવા મુદ્દે ખલાસી સમાજમાં બળવો; મહેન્દ્ર ખલાસ પરિવારની ઈજારાશાહી સામે CM સુધી પહોંચી ફરિયાદ
દોઢસો વર્ષથી અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો રથ ખેંચવાની જવાબદારી મહંત નરસિંહદાસજી મહારાજે સમસ્ત ખલાસી સમાજને સોંપવામાં આવી છે. છતાં આ અધિકાર મફતલાલ મંગળદાસ ખલાસના પરિવારના મહેન્દ્ર ખલાસ(પુત્ર) અને કૌશલ ખલાસ(પૌત્ર)ની દાદાગીરી સામે ખલાસી સમાજમાં બળવો થયો છે. તેઓ પરિવારના સભ્યોને જ રથ ખેંચવામાં પ્રાધાન્ય આપતા હોવાનો આરોપ મૂકાઈ રહ્યો છે. તેમજ ખલાસી સમાજમાંથી રથયાત્રામાં સામેલ થવામાં આઈ-કાર્ડ આપવામાં પણ મનસ્વી અને આપખુદ વલણ અપનાવી રહ્યા હોવાથી તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. તેને દાદાગીરી અને મનસ્વી વલણનો અંત લાવવાની માગણી સાથેની એક ફરિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી ઉપરાંત અમદાવાદના ક્લેક્ટર અને ચેરિટી કમિશનરને પણ કરવામાં આવી છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓને પણ ફરિયાદની નકલ પહોંચાડવામાં આવી છે.
રથ ખેંચવા માટે એક જ પરિવારના સભ્યોને અપાતી તક સામે વિરોધ
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ત્રણ રથ ખેંચવા માટે અમદાવાદ, મહેમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, ખંભાત, ખેડા અને મુંબઈથી ખલાસી સમાજના આવે છે. ખુલ્લા પગે રથ ખેંચે છે. પરંતુ તેમને રથયાત્રામાં પ્રવેશ લેવા માટે આઈ-કાર્ડ આપવામાં મહેન્દ્ર ખલાસ અને તેમના પુત્ર કૌશિક મહેન્દ્ર ખલાસ મનસ્વી વલણ અપનાવી રહ્યા છે.
જગન્નાથજીનો રથ અને બળભદ્રજીનો રથ ખેંચવા આવનારાઓને મહેન્દ્ર ખલાસ કહે છે કે, 'હું કહું એજ તમારે કરવાનું રહેશે. તમાર રથને ખેંચનાર ભાઈઓને તમારે જ દાબમાં રાખવાના રહેશે. તમે તેને દાબમાં નહી રાખો તો તમને સભ્યપદેથી દૂર કરી દેવામાં આવશે.' બળભદ્રજીના રથને ખેંચવા વાળા ગ્રુપમાં તેમના સાળા ભીખા રંગવાળાને રાખવાની સહુને ફરજ પાડવામાં આવી હતી. ભીખા રંગવાળાનો વિરોધ કરનારાઓને પણ દબાવી દેવામાં આવ્યા હતા. આમ રથયાત્રામાં રથ ખેંચવામાં પારિવારિક ઈજારાશાહી ચાલી રહી હોવાથી ખલાસી સમાજના લોકો નારાજ છે.
149મી રથયાત્રામાં પણ સરસપુરથી પાછા ફરતી વખતે તેની વચ્ચે ખાસો વિવાદ થયો હતો. મહેન્દ્ર ખલાસના પરિવારની ઈજારા શાહી સામે ખલાસી સમાજમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રથયાત્રામાં ભાગ લેનારા ખલાસી ભાઈઓનું એક ટ્રસ્ટ બનાવવામાં આવેલું છે. આ ટ્રસ્ટનું આજદિન સુધી રજિસ્ટ્રેશન કરાવેલું ન હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. તેના પ્રમુખપદે મહેન્દ્ર ખલાસ ચઢી બેઠેલાં છે. રથયાત્રા દરમિયાન કૃષ્ણાના ભજન ગાઈ રહેલા ખલાસીઓને ભજન ગાવાના બંધ ન કરે તો તેને 150મી રથયાત્રા વખતે આઈ-કાર્ડ જ નહીં આપવામાં આવે તેમ જણાવીને ચૂપ કરી દીધા હતા. ડિજિટલ આઈ-કાર્ડ બનાવવા માટે ગુજરાત ભરમાંથી ફોર્મ મંગાવ્યા બાદ મહેન્દ્ર ખલાસે કહ્યું હતું કે, 'હું કહું તેમને જ આઈ-કાર્ડ આપવામાં આવશે.'

