VIDEO: Rajkot / સુપેડીમાં જનઆક્રોશ સામે મહંત નમ્યા; ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને મતદાન બહિષ્કારની ચીમકી બાદ મહંતે છોડી ગાદી
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ ઐતિહાસિક મુરલી મનોહર મંદિરના મહંતના વર્તનને લઈને સર્જાયેલો વિવાદ આખરે અચાનક વળાંક સાથે શાંત પડ્યો છે. ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને આંદોલનની ચીમકી બાદ મહંત રવિન્દ્રદાસ ગાદી છોડીને ચાલ્યા ગયા છે.
શું હતો સમગ્ર મામલો?
મુરલી મનોહર મંદિરના મહંત રવિન્દ્રદાસ દ્વારા દર્શનાર્થીઓ સાથે અવારનવાર કરવામાં આવતા ઉદ્ધત વર્તનને લઈ સુપેડી ગામના લોકોમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ હતો કે મહંતની મનમાની વધી ગઈ છે અને તેઓ શ્રદ્ધાળુઓ સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. આ વિવાદ એટલો વકર્યો હતો કે ગઈકાલે ગ્રામજનોએ એકત્ર થઈને મહંત વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.
મહંતને ગાદી પરથી હટાવવાની માંગ સાથે ગઈકાલે સુપેડી ગામમાં 'ગામ બંધ' રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગ્રામજનોએ પોતાની માંગ ન સંતોષાય તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની પણ ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામજનોના એક પ્રતિનિધિ મંડળે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહંતને તાત્કાલિક અસરથી મંદિરની ગાદી પરથી હટાવવા રજૂઆત કરી હતી.
ગામના લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે જો મહંત ગાદી નહીં છોડે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગ્રામજનોનો આ મિજાજ અને એકતા જોઈને મહંત રવિન્દ્રદાસ પર દબાણ વધ્યું હતું. પરિણામે, વિવાદ વધુ વકરે તે પહેલાં જ મહંત રવિન્દ્રદાસ અચાનક જ મંદિર અને ગાદી છોડીને અન્યત્ર ચાલ્યા ગયા હતા.

