Rajkot/ સોનીબજારમાં ખળભળાટ: દાગીના બનાવવાના બહાને ₹61 લાખનું સોનું લઈ કમિશન એજન્ટ ગાયબ

જ્વેલરી હબ ગણાતા રાજકોટની સોનીબજારમાં વધુ એક મોટી ઠગાઈની ઘટના પ્રકાશમાં આવી છે. એક કમિશન એજન્ટ સોની વેપારી પાસેથી અંદાજે 473.5 ગ્રામ સોનું લઈને ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટના સોની વેપારી જીતેશભાઈ રાણપરા, જેઓ 'વ્રજ આંગન જ્વેલર્સ' નામે વ્યવસાય કરે છે, તેમણે આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પશ્ચિમ બંગાળનો રહેવાસી શેખ બાદશાહ નામનો શખ્સ તેમની પાસેથી સોનાના દાગીના બનાવવાના બહાને સોનું લઈ ગયો હતો.
₹61 લાખની છેતરપિંડી
આરોપી શેખ બાદશાહ સોની વેપારીનો વિશ્વાસ જીતીને કુલ 473.5 ગ્રામ સોનું મેળવવામાં સફળ રહ્યો હતો. જેની હાલની બજાર કિંમત અંદાજે ₹61 લાખ જેટલી થાય છે. સોનું લીધા બાદ જ્યારે દાગીના પરત આપવાનો સમય આવ્યો ત્યારે આરોપી પોતાનો ફોન બંધ કરી સોના સાથે ગાયબ થઈ ગયો હતો. વેપારીએ ઘણી શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન લાગતા આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.
પોલીસ કાર્યવાહી
રાજકોટની એ-ડિવિઝન પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી શેખ બાદશાહ વિરુદ્ધ નવા કાયદા BNS ની કલમ 316(5) હેઠળ ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને તેના મૂળ વતન પશ્ચિમ બંગાળ સુધી તપાસના તાર લંબાવ્યા છે.

