Rajkot: જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન;1500 જવાનોના બંદોબસ્ત વચ્ચે 1400થી વધુ બાંધકામો તોડી પડાશે

રાજકોટમાં મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આગામી સોમવારે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું અને અભૂતપૂર્વ ડિમોલિશન હાથ ધરવામાં આવશે. શહેરના સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં 50 ફૂટનો રોડ અને આજી નદીના પટમાં આવેલી અંદાજે 93 હજાર ચોરસ મીટર જમીન પર ખડકાયેલા 1400થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે.
આ ડિમોલિશન અત્યંત સંવેદનશીલ હોવાથી સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1500થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. 4 ડીસીપી (DCP)ના સીધા સુપરવિઝન હેઠળ આખું ઓપરેશન ચાલશે. એસીપી, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના સંખ્યાબંધ અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વ્યક્તિઓ પર માર્કર મૂકીને તેમના પર નજર રાખવામાં આવી રહી છે.
ડિમોલિશનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ યુદ્ધના ધોરણે તૈયારી કરાઈ છે. અલગ-અલગ 6 વોર્ડના અધિકારીઓ અને ક્લાસ-1 ના અધિકારીઓને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 150 જેટલા મજૂરો, જેસીબી, ટ્રેક્ટર અને કટર જેવા સાધનોનો કાફલો ઉપયોગ કરવામાં આવશે.

