Video/ Rajkotની ઇન્ડિયન બેંકના લોકરમાંથી સોનું ગાયબ થવાના કેસમાં બેંક દંપતીને 1.32 કરોડ ચૂકવશે
રાજકોટ શહેરની ઇન્ડિયન બેંકના લોકરમાંથી સોનું ગાયબ થવાના હાઇપ્રોફાઇલ કેસમાં આખરે બેંકે નમતું જોખ્યું છે. ગોલ્ડ લોન લેનારા શાહ દંપતીના ગુમ થયેલા દાગીનાના બદલામાં બેંક દ્વારા 1.32 કરોડ રૂપિયાનું વળતર આપવાનું મંજૂર કરવામાં આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
રાજકોટના શાહ દંપતીએ ઇન્ડિયન બેંકમાં 22 કેરેટના 1 કિલોથી વધુ સોનાના દાગીના ગીરવે મૂકીને ગોલ્ડ લોન લીધી હતી. ઓક્ટોબર 2025માં જ્યારે દંપતી લોન રિન્યુ કરાવવા બેંક પહોંચ્યું, ત્યારે બેંકના લોકરમાંથી સોનું ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાથી બેંકિંગ ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
હાઇકોર્ટના હસ્તક્ષેપ બાદ બેંકનું સમાધાન
શરૂઆતમાં બેંક તંત્ર દ્વારા આ બાબતે કોઈ હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નહોતો, જેના પગલે ન્યાય મેળવવા દંપતીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. કાયદાકીય લડત અને પુરાવાઓને જોતા, બેંકે આખરે સમાધાનનો માર્ગ અપનાવ્યો છે.
વળતરની મુખ્ય વિગતો:
કુલ વળતર: 1.15 કરોડની કિંમતના સોના સામે બેંક 1.32 કરોડ રૂપિયા ચૂકવશે.
વધારાની રાહત: નવેમ્બર 2025 પછી દંપતીના ખાતામાંથી ડેબિટ થયેલું વ્યાજ, પેનલ્ટી અને અન્ય ચાર્જીસ પણ બેંક પાછા ખેંચશે.
સહમતિ: લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ બંને પક્ષો વચ્ચે આર્થિક વળતર મુદ્દે સહમતિ સધાઈ છે.
આ કિસ્સાએ બેંક લોકરોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા, પરંતુ ગ્રાહકની મક્કમ લડતને કારણે બેંકને કરોડોનું વળતર ચૂકવવાની ફરજ પડી છે.

