Rajkot: B.A. ડાંગર હોમિયોપેથી કોલેજ વિરુદ્ધ મોટી કાર્યવાહી, માન્યતા રદ કરવા અપાયો આદેશ

રાજકોટની B.A. ડાંગર હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીની આત્મહત્યા બાદ નેશનલ હોમિયોપેથી કાઉન્સિલ (NCH) દ્વારા કોલેજની 2025-26ની માન્યતા રદ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. 4 સપ્ટેમ્બર 2025ના રોજ મેડિકલ ટીમે કોલેજની તપાસ કરી, જેમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી. તપાસમાં બિનલાયકાત ધરાવતા અધ્યાપકો, દર્દીઓ વિનાની હોસ્પિટલ અને ગેરકાયદે એડમિશનનો ખુલાસો થયો.
3 સપ્ટેમ્બરે 245 દર્દીઓની OPD નોંધાઈ હતી, પરંતુ 4 સપ્ટેમ્બરે એક પણ દર્દી દાખલ નહોતું. એક્સ-રે ટેક્નિશિયનને મશીનની જાણકારી ન હતી, અને પેથોલોજી વિભાગમાં પરીક્ષણો યોગ્ય રીતે થયા ન હતા. આ ઉપરાંત, જિલ્લા ભાજપના મહામંત્રી ભરત મેતાના ભાઈ જનક મેતાની કોલેજ હોવાથી અનેક વખત વિવાદ છતાં કોઈ કાર્યવાહી થતી નહતી. ગત વર્ષે પણ NCH દ્વારા માન્યતા રદ કરાઈ હતી, પરંતુ રૂપિયાના જોરે બધું ક્લિયર કરાવવામાં આવ્યું હતું.

