એસિડ પીવડાવ્યું ને પછી દીધો ગળેટૂંપો! ગોંડલના ગુંદાળામાં થયેલી યુવકની હત્યાનો પોલીસે કેવી રીતે કર્યો પર્દાફાશ?

રાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં ગત 30મી જૂનના રોજ બનેલી 23 વર્ષીય યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શરૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હકીકતમાં સગાં માતા-પિતાએ જ કરેલી પુત્રની હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે તેના સાસુ-સસરાની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.
માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ ગળેટૂંપો દીધો
પોલીસ તપાસ અનુસાર, મૃતક યુવાન રામ પિતા બાબુભાઈ ઉર્ફે અતુલ બાંભવા અને માતા મનીષાબહેન ઉર્ફે મોતીબહેન સાથે અવારનવાર વિવાદ થતો હતો. 30મીમી જૂનના રોજ પણ ઘરમાં આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો હિંસક બન્યો અને માતાએ પોતાના જ પુત્રને એસિડ પીવડાવી દીધું હતું, જ્યારે પિતાએ તેને બેરહેમીથી માર માર્યા બાદ ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ (PM) થઈ જાય અને હત્યાનો મામલો દબાઈ જાય તે માટે સ્થાનિક રાજકીય આગેવાનો અને નેતાઓ મારફતે વહીવટી તંત્ર પર ભલામણો પણ કરાવી હતી. આ કાવતરું નિષ્ફળ જતાં આરોપીઓએ સમાજમાં એવી વાત ફેલાવી દીધી કે રામ દારૂ પીતો હતો અને ઘરમાં ઝઘડા કરતો હોવાથી તેણે આપઘાત કર્યો છે. જોકે, પોલીસની સઘન તપાસમાં સામે આ જૂઠાણું ટકી શક્યું નહોતું અને સમગ્ર પાપનો ભાંડો ફૂટી ગયો હતો.
ચાર મહિના પહેલાં જ પરણેલી પત્નીએ નોંધાવી ફરિયાદ
આ સમગ્ર મામલે મૃતક રામના હજુ ચાર મહિના પહેલાં જ લગ્ન થયા હતા. તેની સાહસિક પત્ની બંશીબહેન બાંભવાએ પોતાના સાસુ અને સસરાના આ ક્રૂર કૃત્ય સામે અવાજ ઉઠાવી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે પત્નીની ફરિયાદના આધારે સાસુ-સસરા વિરુદ્ધ દેશના નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

