Video: Patan નું ગૌરવ સહસ્ત્રલિંગ તળાવની બિસ્માર હાલત, જસમાનો શ્રાપ કે જાળવણીનો અભાવ?
અણહિલપુર પાટણ સોલંકી યુગની કલા, સ્થાપત્ય અને શિલ્પકલાનો પ્રતાપી ઇતિહાસ ધરાવે છે. આ યુગના રાજા સિદ્ધરાજ જયસિંહ શિલ્પ-સ્થાપત્ય અને દેવાલયો બાંધવાના શોખીન હતા. તેમણે આશરે 1000 વર્ષ પહેલાં પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું હતું, જે જળ વ્યવસ્થાપન અને પાણી સંગ્રહ માટેનું ઉત્તમ એન્જિનિયરિંગ કૌશલ્ય દર્શાવે છે.
જોકે, કુદરતી થપાટો અને યોગ્ય જાળવણીના અભાવે આજે આ ભવ્ય તળાવ ખંડેર હાલતમાં પડ્યું છે, જે ખૂબ જ દુઃખદ છે.
રાણીની વાવ સામે સહસ્ત્રલિંગની અવગણના?
જ્યારે રાણીની વાવનું ઉત્ખનન થયા બાદ તેને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો અને તે લાખો પ્રવાસીઓનું આકર્ષણ બની છે, ત્યારે સહસ્ત્રલિંગ તળાવ પ્રત્યેની આ પ્રકારની બેદરકારી કેમ? રાણીની વાવની મુલાકાત લેતા પ્રવાસીઓ આ તળાવની દુર્દશા જોઈને નિરાશ થતા હોય છે.
તળાવ સાથે જોડાયેલી કિંવદંતી
સહસ્ત્રલિંગ તળાવના નિર્માણ બાદ સરસ્વતી નદીનું પાણી લાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ, એક કિંવદંતી અનુસાર, સિદ્ધરાજ જયસિંહ સુંદર મહિલા જસમા ઓડણ પર મોહિત થયા હતા. જેના કારણે જસમાએ શ્રાપ આપ્યો કે 32 લક્ષણા કોઈ પુરુષ બલિદાન આપે તો જ અહીં પાણી રહશે ત્યારબાદ વીર મેઘમાયાના બલિદાનને કારણે અહીં પાણી રહ્યું હતું

