Patan: 700 વર્ષથી ચાલી આવતી અઘોર પરંપરા, પંચમુખી મંદિરમાં કાળી ચૌદસના દિવસે જાણો શું છે કાળા દોરાનું રહસ્ય
ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક નગરી પાટણ આજે પણ અનેક શિવ અને જૈન મંદિરોને કારણે જગવિખ્યાત છે. આવી જ એક ધાર્મિક પરંપરા અહીંના પંચમુખી હનુમાન મંદિરમાં 700 વર્ષથી અવિરતપણે ચાલી આવે છે, જેનો સંબંધ અઘોર પંથક સાથે જોડાયેલો છે. આ સ્થળનો ઇતિહાસ અને અહીંની માન્યતાઓ રોમાંચક છે.
કાળી ચૌદસની વિશેષ પૂજા અને કાળો દોરો
પાટણની ધર્મનગરીમાં આગવું મહત્ત્વ ધરાવતું પંચમુખી મંદિર કાળી ચૌદસના દિવસે વિશેષ પૂજા માટે જાણીતું છે. આ પર્વના દિવસે અહીં મહાકાળી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પૂજાનું મુખ્ય આકર્ષણ કાળો દોરો છે. વિધિ-વિધાન સાથે આ દોરાને પૂજા બાદ ભક્તોને આપવામાં આવે છે.
ભક્તોમાં એવી દ્રઢ માન્યતા પ્રવર્તે છે કે, આ પવિત્ર કાળો દોરો જો હાથ કે ગળામાં બાંધવામાં આવે તો ભૂત, પિશાચ કે અંધારી રાતનો ડર દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે. આ દોરો લોકોની આસ્થાનું પ્રતીક છે.
અઘોર પંથક
સમય જતાં આ મંદિર અઘોરી પંથકના સાધુ-મહંતોના આશ્રય સ્થાન તરીકે ધીરે ધીરે પ્રચલિત બન્યું હતું. પાછલી એક સદીની વાત કરીએ તો, અહીં નર્મદ ગિરિ બાપુ જેવા મહંતે 115 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું. મહાવદ ચોથ, 2008 ના રોજ તેઓ કાળ ધર્મ પામ્યા હતા.
તેમના દ્વારા જ આ મંદિરમાં પાંચ મુખવાળા હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. નર્મદ ગિરિ બાપુ જ્યારે જીવિત હતા, ત્યારે તેઓ તેમની સાધના માટે જાણીતા હતા. કહેવાય છે કે, તેઓ સાધના વખતે બે મનુષ્યની ખોપડી અને મહાકાળીની પૂજા કરતા હતા. તેઓ નવરાત્રિ દરમિયાન મંદિરની અંદર બનાવેલા ભોંયરામાં જઈને સાધના કરતા હતા.

