Patan: રાધનપુર કોંગ્રેસના 100થી વધુ આગેવાનોએ પક્ષ સાથે છેડો ફાડ્યો, પાટણના કોર્પોરેટેરનું ભાજપમાંથી રાજીનામુ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ રાધનપુર વિધાનસભા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. સાંતલપુર તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પરબતભાઈ આહીરની નિમણૂક થતા આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવા છતાં નિર્ણય ન બદલાતા, નારાજ થયેલા 100થી વધુ કાર્યકરો અને અગ્રણી નેતાઓએ પક્ષમાંથી છેડો ફાડ્યો છે.
હાઈકમાન્ડને રજૂઆત કરવા છતાં નિર્ણય ન બદલાતા રાધનપુર અને સાંતલપુર તાલુકાના પ્રમુખો, શહેર પ્રમુખ, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને યુવક કોંગ્રેસના પ્રમુખો સહિતના હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે ચૂંટણી સમયે જ આટલી મોટી સંખ્યામાં પાયાના કાર્યકરો અને દિગ્ગજ નેતાઓએ સાથ છોડતા કોંગ્રેસ માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પાટણ પાલિકાના કોર્પોરેટેરે ભાજપમાથી રાજીનામુ આપ્યું
તો પાટણ નગરપાલિકા વોર્ડ નં.9ના કોર્પોરેટેરે ભાજપમાથી રાજીનામુ આપ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખને કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે. નરેશ દવેએ જણાવ્યું છે કે પાલિકામાં ભાજપના બે ગ્રુપો ચાલતા હોય વિકાસલક્ષી કામોમાં ભેદભાવ રખાતો હતો. વિસ્તારના વિકાસલક્ષી કામોમાં માટે અનેકવાર રજૂઆત કરવા છતાં એક પણ કામો થતા ન હતા. ચીફ ઓફિસરના કારણે રાજીનામું આપ્યું હોવાનું ડોક્ટર નરેશ દવેએ જણાવ્યું છે. કોર્પોરેટરના વ્યવસાય અંગે વિસ્તારના મતદારો સાથે ચીફ ઓફિસરે કરેલી ટિપ્પણીને લઈને કોર્પોરેટરે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 'આ ડોક્ટર આયુર્વેદિક છે માટે સરકારી દવાખાનાઓમાં સારવાર લેવા જવાનું તેમજ ડોક્ટર પાસે કોઈ કામ અર્થે જશો તો વિસ્તારના કામો નહીં થાય' તેવું ચીફ ઓફિસરે લોકોને જાહેરમાં કહ્યું હતું.

