પંચમહાલ: આજથી પાવાગઢ પરિક્રમા યાત્રાની શરૂઆત, બે દિવસ સુધી ચાલશે

યાત્રાધામ પાવાગઢની તળેટીમાં યોજાતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજે પ્રારંભ થયો હતો. પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તેવી પાવાગઢ પરિક્રમા યાત્રાને દસ વર્ષ અગાઉ પુનર્જીવિત કરવામાં આવી હતી. તે બાદ પદયાત્રીઓની સંખ્યામાં વર્ષો-વર્ષ વધારો થતો જોવા મળે છે.
પાવાગઢ ડુંગરની તળેટીમાં 42 કિલોમીટરની ત્રિજીયાને આવરી લેતી પાવાગઢ પરિક્રમા યાત્રા બે દિવસ માટે યોજવામાં આવે છે. જેની શરૂઆત આજથી થઈ હતી.
આ વર્ષે પદયાત્રામાં મોટી સંખ્યામાં નવા પદયાત્રીઓ જોડાયા છે. રાજ્યના અલગ અલગ ખૂણેથી તમામ ઉંમરના લોકો પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાયેલા જોવા મળ્યા છે. કહેવાય છે કે પાવાગઢની સૌથી પહેલી પદયાત્રા મહર્ષિ વિશ્વામિત્રીએ કરી હતી, તેનો ઉલ્લેખ પુરાણો અને પંચાંગમાં જોવા મળતા તેને પુનર્જીવિત કરવામાં આવી હતી.
સતત દસમા વર્ષે યોજાયેલી પાવાગઢ પરિક્રમાંમાં આ વર્ષે પાંચ હજાર કરતા વધુની સંખ્યામાં પદયાત્રીઓ નોંધાયા છે. જેમાં કેટલાક શ્રદ્ધાળુઓ એવા પણ જોવા મળે છે, જેમણે કોઈક માનતા રાખી હોય અને તે પુરી થતા પાવાગઢ ડુંગરની તળેટીમાં પરિક્રમા કરી રહ્યા છે.

