VIDEO: Panchmahal / માટીચોરીનું મસમોટું કૌભાંડ, 100 એકર જમીનમાં આડેધડ ખોદકામ, તંત્રએ માત્ર 'નોટિસ' આપી સંતોષ માન્યો
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ઇંટોના ભઠ્ઠા અને ખનીજ ચોરીનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ખાસ કરીને કાલોલ તાલુકામાં 100થી વધુ ગેરકાયદે ભઠ્ઠાઓ ધમધમી રહ્યા હોવા છતાં જવાબદાર અધિકારીઓના મૌન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં કાલોલના વરવાડા ગામમાં ગૌચરની સરકારી જમીનમાંથી મોટાપાયે માટીચોરીનો મામલો સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
વરવાડા ગામની ગૌચરની જમીનમાંથી ઈંટોના ભઠ્ઠા સંચાલકોએ મોટાપાયે માટીનું ખોદકામ કર્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ બે વીઘા જેટલી જમીનમાં પાંચ ફૂટ કરતાં પણ વધુ ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા પાયે ખોદકામ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક તલાટી તદ્દન અજાણ રહ્યા હતા. જ્યારે ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરી, ત્યારે તલાટીએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હોવાનું બહાર આવ્યું છે. સરકારી મિલકતની ચોરી કરનારા તત્વો સામે હજુ સુધી કોઈ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી.
વરવાડા ગામની આસપાસ લગભગ 100 એકર જમીન પર આ પ્રકારે ખોદકામ કરીને માટી ઉસેડી લેવામાં આવી હોવાનો અંદાજ છે. સૌથી ગંભીર બાબત એ છે કે ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટેની ગાડાવાટની આસપાસ પણ ઊંડા ખાડા ખોદી દેવાયા છે. આ સ્થિતિને કારણે આગામી ચોમાસામાં ટ્રેક્ટર કે ગાડું લઈને ખેતર સુધી પહોંચવું ખેડૂતો માટે અશક્ય બની જશે. ખેડૂતોમાં ભય છે કે રસ્તાઓ ધોવાઈ જવાથી તેમની આજીવિકા પર સીધી અસર પડશે.

