VIDEO: નર્મદા જિલ્લામાં હાર બાદ ભાજપમાં ભંગાણના દ્રશ્યો! રાજપીપલા APMC ખાતે યોજાઈ હતી મનોમંથન બેઠક
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મળેલી હાર બાદ ભાજપમાં ભંગાણના દ્રશ્યો સામે આવ્યા છે. રાજપીપલા APMC ખાતે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે એક મંચ પર આવી મનોમંથન બેઠક યોજી હતી. નોંધનીય છે કે, એક સમયે એકબીજા પર આક્ષેપો કરનારા આ બંને નેતાઓ આજે સંગઠન સામે એકાકાર જોવા મળ્યા હતા. આ બેઠકમાંથી જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓની બાદબાકી કરવામાં આવતા પક્ષમાં બે ફાડિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ હાર માટે સંગઠનની નિષ્ક્રિયતા અને કેટલાક લોકોના અપપ્રચારને જવાબદાર ગણાવ્યા છે. તેમણે સ્વીકાર્યું કે વિરોધીઓના અપપ્રચારને કાઉન્ટર કરવામાં વહીવટકર્તાઓ નિષ્ફળ રહ્યા છે. નાંદોદના ધારાસભ્ય પણ આ મનોમંથનમાં જોડાતા હવે નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જે આગામી સમયમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યો છે.

