નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ ફરી વકર્યો, ખેડૂતો અને વન વિભાગ વચ્ચે બબાલ

નર્મદાના સાગબારા જંગલ ધરણાનો અંત આવ્યો પરંતુ, નાલ ગામના લોકો ખેડાણ કરવા જતા વન વિભાગના કર્મચારી સાથે ફરી બબાલ થઈ. 23 દિવસ ચાલેલાં આદિવાસી ખેડૂતોના આંદોલન મામલે સોમવારે(31 ઓગસ્ટ) ભાજપના બે મંત્રીઓ અને સાંસદે આંદોલનકારીઓને પારણા કરાવીને વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો હતો. જેમાં વનમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, 'પેન્ડિંગ દાવા અરજીને લઈને 90 દિવસમાં સનદ મળશે.' આમ, વનમંત્રીએ આશ્વાસન આપી ફક્ત પારણા કરાવ્યા પરંતુ આદિવાસીના હક-અધિકારો ધ્યાન ન લીધા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
મંત્રીઓના દાવાઓનું 24 કલાકમાં સુરસુરિયું
મળતી માહિતી મુજબ, 1 સપ્ટેમ્બરના રોજ નાલ ગામના ખેડૂતો ખેડાણ કરવા જતાં વનકર્મી સાથે બબાલ થઈ હતી. ઘટનાસ્થળે ફોરેસ્ટ વિભાગના મહિલા અધિકારીએ કહ્યું કે 'તમને અમારી જરૂર પડવાની જ છે. તમારા કાગળ પર સહી કરવા મારે જ આવું પડશે અને પ્રમાણપત્ર મારે જ આપવાનું છે. તમને ફોરેસ્ટરની જરૂર પડશે જ.'
સાગબારાના આદિવાસી ખેડૂતો પોતાની જ જમીન અને ખેડાણના અધિકારો માટે આકરા તાપ અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે સળંગ 23 દિવસ સુધી ધરણા પર બેસી રહ્યા હતા. છેક 23 દિવસે રાજ્યનું વહીવટી તંત્ર અને સરકાર જાગી. જેમાં મંત્રીઓએ આંદોલનકારીઓને પારણા કરાવી વિવાદનો ઉકેલ લાવવાનો દાવો તો કર્યો છે, પરંતુ 23 દિવસ સુધી ચાલેલા આ ઘર્ષણે ગુજરાતના રાજકારણમાં અનેક તીખા સવાલો ઊભા કરી દીધા છે.
શું મંત્રીઓના આશ્વાસન માત્ર એક ધરણા બંધ કરવાનો ઈરાદો?: ખેડૂતો
સમગ્ર મામલે ખેડૂતોએ જણાવ્યું કે, 'વનમંત્રીએ આશ્વાસન આપી ફક્ત પારણા કરાવ્યા, પરંતુ આદિવાસીના હક અને અધિકારોનું શું? ખેડૂતો ખેડાણ કરવા જતા વન વિભાગ સાથે ફરી બબાલ થતાં હવે આગળ શું થશે એ પણ ચિંતાનો વિષય છે, ત્યારે સવાલ થાય છે કે શું મંત્રીઓના આશ્વાસન માત્ર એક ધરણા બંધ કરવાનો ઈરાદો હતો.'

