'તમારા કામ માટે કોઈને રૂપિયો આપવાની જરૂર નથી, સીધા સચિવાલય આવો' - કાંતિ અમૃતિયા

Kanti Amrutiya Statement: ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સામે લાલ આંખ કરી છે. મોરબીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ પરથી કાર્યકરો અને જનતાને અપીલ કરી હતી કે, 'કોઈપણ કામ માટે વચેટિયા કે દલાલોનો સહારો લેવાને બદલે સીધો સચિવાલયનો સંપર્ક કરવો.'
'હું બીમાર છું, પણ મારો કાર્યકર બીમાર નથી'
મંત્રી કાંતિ અમૃતિયા હાલ અન્નનળીના કેન્સરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને મુંબઈમાં તેમની સારવાર ચાલી રહી છે. આ સ્થિતિમાં તેઓ રૂબરૂ મુલાકાતીઓને મળી શકતા નથી, પરંતુ જનતાના કામ ન અટકે તે માટે તેમણે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. તેમણે ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, 'ભલે હું અત્યારે બીમાર હોઉં, પણ મારો કાર્યકર બીમાર નથી. તમારા કોઈ પણ પ્રશ્નો કે કામ હોય તો નિઃસંકોચ સચિવાલય આવજો, પણ કોઈ દલાલને વચ્ચે રાખશો નહીં.'
સચિવાલયમાં વચેટિયાઓની સક્રિયતા પર સવાલ?
મંત્રીના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. જાણકારોનું માનવું છે કે મંત્રીએ આડકતરી રીતે સ્વીકાર્યું છે કે સરકારી કચેરીઓ અને સચિવાલયમાં હજુ પણ વચેટિયાઓ સક્રિય છે. સામાન્ય માણસ જ્યારે સરકારી કામ માટે જાય છે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોની સાંઠગાંઠને કારણે કામો અટવાતા હોય છે, જેના લીધે લોકોએ નાછૂટકે પૈસા ખર્ચવા પડે છે.
ભ્રષ્ટાચાર સામે કડક વલણ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઈડરમાં ભાજપના એક સ્થાનિક નેતા લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના બની હતી. નવી સરકારની રચના બાદ સચિવાલયમાં ફરીથી વચેટિયાઓનો જમાવડો વધી રહ્યો હોવાની ફરિયાદો વચ્ચે એક મંત્રી દ્વારા જ આવું નિવેદન આપવું તે સૂચક માનવામાં આવે છે.

