Morbi/ વાંકાનેરની કૃશો સિરામિકમાં તોડફોડ મામલે 10 લોકોની ધરપકડ, પગારના વિવાદમાં મજૂરોએ મચાવ્યો હતો આતંક
વાંકાનેર નજીક આવેલા કૃશો સિરામિક કારખાનામાં ગત ડિસેમ્બર મહિનામાં થયેલી તોડફોડ અને લૂંટના પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. કારખાનામાં અંદાજિત રૂ. 75 લાખનું નુકસાન પહોંચાડી સામાનની ચોરી કરવાના ગુનામાં વાંકાનેર સીટી પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત તારીખ 26-12-2025 ના રોજ વાંકાનેર પાસેના કૃશો સિરામિકમાં કામ કરતા મજૂરો અને કોન્ટ્રાક્ટરે ઉશ્કેરાઈ જઈને કારખાનામાં ભારે તોડફોડ કરી હતી. ફરિયાદ મુજબ, મજૂરોએ કારખાનામાં મશીનરી અને અન્ય ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું એટલું જ નહીં, પણ કારખાનામાંથી કિંમતી સામાન પણ ભરી ગયા હતા. કારખાનેદાર આનંદ વાધડિયા દ્વારા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પગારના વિવાદમાં મચાવ્યો આતંક
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કારખાનામાં કામ કરતા કોન્ટ્રાક્ટરે મજૂરોનો પગાર ન ચૂકવ્યો હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. આ આક્રોશમાં આવીને કોન્ટ્રાક્ટર અને મજૂરોએ સાથે મળીને કારખાનાને નિશાન બનાવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, આરોપીઓએ કારખાનાને રૂ. 75 લાખ જેટલું જંગી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
12 સામે ગુનો, 10 પોલીસના શિકંજામાં
કારખાનેદારની ફરિયાદના આધારે પોલીસે ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, આનંદ કૈલા સહિત કુલ 12 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. મોરબી ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી આ ટોળકીના 10 સભ્યોને ઝડપી પાડ્યા છે. બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

