Mahisagar News: બ્રિજ ઉપરથી કૂદીને બે વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું હોવાની આશંકા, શોધખોળ ચાલુ

મહીસાગર જિલ્લાના હાડોડ બ્રિજ ઉપરથી બે વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાડોડ બ્રિજ પરથી એક યુવક અને એક સગીરાએ કૂદીને મોતને વ્હાલું કર્યું હોવાની આશંકા છે.
વીરપુર તાલુકાના એક યુવક અને એક સગીરા બાઈક મૂકી હાડોડ બ્રિજ પરથી નદીમાં કૂદકો મારી હોવાનું સામે આવ્યું છે. આ આશંકાને લઈ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતુ. સ્થાનિક ગ્રામજનો અને પોલીસ દ્વારા યુવક અને સગીરાની શોધખોળ હાથ ધરાઈ હતી.
લુણાવાડા ફાયર વિભાગની ટીમ અને વહીવટી તંત્ર દ્વારા મહીસાગર નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાઈક તેમજ ચપ્પલ સહિત મોબાઈલ ત્યાં બ્રિજ પર મૂકી આ યુવક અને સગીરા કૂદ્યા હોવાની આશંકા છે. તેમના સામાનમાંથી એક પત્ર પણ મળી આવ્યો છે. આને લઈ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
હોડી અને સ્થાનિક તરવૈયાની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. યુવક અને સગીરાને શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેઓ ડૂબ્યા હોવાની શંકાને લઇ સ્થાનિક ટોળાઓ પણ નદીએ જોવા પહોંચ્યા હતા.

