VIDEO: ખેડા જિલ્લાના પવિત્ર મહીસાગર તટે બિરાજમાન ઐતિહાસિક અને ચમત્કારિક ગળતેશ્વર મહાદેવ મંદિરનો મહિમા
ખેડા જિલ્લાના મહીસાગર નદીના વિશાળ પટ પર પવનની લહેરો સાથે ગળતેશ્વર મહાદેવનું પૌરાણિક અને ચમત્કારિક ધામ આવેલું છે. બારમી સદીના આ ભવ્ય મંદિરની ધરા પર પગ મૂકતા જ ભક્તોને અદ્રશ્ય દિવ્ય ઊર્જાનો અનુભવ થાય છે. અહીં ગર્ભમાં લગભગ ૧૨ થી ૧૪ ફૂટ નીચે સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે, જેના પર 'ગળતી' નામની નદીનું પાણી દરરોજ સવારે કુદરતી રીતે જલાભિષેક કરે છે. મહીસાગર અને ગળતી નદીના ત્રિવેણી સંગમ સમાન આ પવિત્ર સ્થળે શ્રાવણ માસ દરમિયાન પૂજારી દ્વારા એક માસ સુધી હોમાત્મક હવન કરવામાં આવે છે. આ મંદિરની સ્થાપત્યકળા અને કોતરણી ખજુરાહો તથા અજંતા-ઈલોરાની યાદ અપાવે છે. મુગલ આક્રમણકારો દ્વારા નુકસાન પામેલા આ મંદિરનો પુરાતત્વ વિભાગ દ્વારા પુનઃઉત્થાન કરવામાં આવ્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉમટીને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

