VIDEO: કેશોદ APMCમાં 48 મંડળીઓના પ્રમુખ, મંત્રીઓની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા
VIDEO: જૂનાગઢ જિલ્લાના કેશોદ એપીએમસીમાં આજે મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં 48 મંડળીઓના પ્રમુખ, મંત્રીઓની બેઠક મળી હતી. જેમાં કેશોદ તાલુકામાં ખેડૂતોને પાક ધિરાણ વધારો આપ્યાં બાદ વ્યાજ વસૂલવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જેડીસીસી બેંકે ધિરાણ વધારા બાદ બદલી નાખેલાં નિર્ણયના વિરોધમાં આ બેઠક યોજાઈ હતી. આ પહેલાં 2 લાખના પાક ધિરાણનો વધારો કરતો પરિપત્ર પછી 12 ટકા વ્યાજ વસૂલવા બેંકની જાહેરાતને વખોડી કાઢી હતી.
કેશોદ એપીએમસીમાં મંડળી પ્રમુખ અને ખેડૂત સભાસદોમાં બેંકના નિર્ણયનો ભારોભાર રોષ જોવા મળ્યો હતો. મંડળી પ્રમુખોએ બેંકના પરિપત્ર સામે નહીં ઝૂકવાનો નિર્ણય કર્યો હતો. જરૂર જણાશે તો કાયદાકીય લડત અને વધારામાં સભાસદો જેડીસીસી બેંકમાં રહેલ થાપણ ઉપાડી લેવા ચીમકી ઉચ્ચારી હતી.વિસાવદરની ચૂંટણી સમયે ખેડૂતોના પાક ધિરાણ વધારા અને ચૂંટણી પૂરી થયે પાછળથી વ્યાજ વસૂલવાના નિર્ણયને રાજકીય ગણાવ્યો હતો. જેડીસીસી બેંકના વિરોધમાં મંડળીઓ રાજકીય ભલામણો પર ધ્યાન નહીં આપે તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું.

