VIDEO: જૂનાગઢમાં જીઆઇડીસી-2ના બિસ્માર રસ્તાનું સમારકામ ન થતાં વેપારીઓનો વિરોધ, રોડ બંધ કરવાની ઉચ્ચારી ચિમકી
સોર્સ : GSTV
જૂનાગઢમાં જીઆઇડીસી-2ના વેપારીઓ બિસ્માર રસ્તાથી રોષે ભરાયા છે. ગત વર્ષે જૂનાગઢ-રાજકોટ હાઈવે પર GIDC નજીક પુલના નિર્માણ દરમિયાન કોર્પોરેશન દ્વારા GIDC-2માં આવેલા રોડનો મહિનાઓ સુધી ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે રોડ તૂટી જશે તો નવો બનાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભારે વાહનો પસાર થતાં રોડ બિસ્માર બની ગયો છે.
આ અંગે વેપારીઓએ કોર્પોરેશનમાં રોડનું પુનઃનિર્માણ કરવા રજૂઆત કરી હતી, છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ રસ્તા પર ઉતર્યા છે. કરોડો રૂપિયાનો વેરો મનપાને ચૂકવતા હોવા છતાં કામ ન થતું હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. જો આવતીકાલ સુધીમાં રોડનું કામ શરૂ નહી કરવામા આવે તો રોડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. જો કે વેપારીઓના રોષને લઈ મનપા દ્વારા કામ શરૂ કરાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

