Video/ ગિરનારની તળેટીમાં જામ્યો શિવરાત્રીનો આધ્યાત્મિક મેળો, ધૂણો અને ભસ્મ: સાધુઓની સાધનાનું જીવંત પ્રતિક
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ વચ્ચે ભવનાથ તળેટીમાં આધ્યાત્મિક માહોલ જામ્યો છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તપસ્વી સાધુ-સંતો અહીં ધૂણો ચેતન કરીને ‘અલખ નિરંજન’નો નાદ જગાવી રહ્યા છે. શિવભક્તો માટે આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ સાધના, તપશ્ચર્યાનો અને પરંપરાનો જીવંત અનુભવ બની રહ્યો છે.
ધૂણો — સાધુઓ માટે મંદિર સમાન
સાધુઓ માટે ધૂણો માત્ર અગ્નિ નથી, પરંતુ ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. ધૂણાની આસપાસ બેસીને સાધુઓ મંત્રજાપ, ધ્યાન અને સાધના કરે છે. અગ્નિને સાક્ષી રાખીને કરવામાં આવતી સાધનાને આધ્યાત્મિક રીતે શક્તિશાળી અને ફળદાયી માનવામાં આવે છે. ધૂણો સંસારની મોહમાયા, કામ, ક્રોધ અને લોભને અગ્નિમાં સમર્પિત કરી આત્મશુદ્ધિ તરફ આગળ વધવાનું પ્રતીક છે.
શિવરાત્રી દરમિયાન ગિરનાર તળેટીમાં ઠંડી વધુ હોવાને કારણે ધૂણાની ગરમી સાધુઓને પ્રાકૃતિક રક્ષણ પણ આપે છે. આથી ધૂણો સાધના અને જીવન બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભસ્મનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
સાધુ-સંતો પોતાના શરીરે ભસ્મ અથવા ભભૂત લગાવતા હોય છે. ભસ્મનું આધ્યાત્મિક મહત્વ એ છે કે તે માનવ જીવનની નાશવંતતા યાદ અપાવે છે — શરીર એક દિવસ રાખમાં મળી જવાનું છે, જે અહંકારનો નાશ કરીને નમ્રતા શીખવે છે. ભગવાન શિવ પોતે પણ ભસ્મ ધારણ કરતા હોવાને કારણે સાધુઓ માટે તેનો વિશેષ ધાર્મિક મહિમા છે.
સાધુઓ માને છે કે ભસ્મ લગાવવાથી તેઓ પોતાના આરાધ્ય દેવ શિવ સાથે એકરૂપ થવાનો અનુભવ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ભભૂત શરીરના રોમછિદ્રોને ઢાંકી ઠંડી અને ગરમીની અસર ઓછી કરે છે અને ચામડીને સુરક્ષા આપે છે. અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી ભસ્મને પવિત્ર માનવામાં આવે છે અને તે નકારાત્મક ઊર્જાને દૂર કરતી હોવાનું માન્ય છે.
નાગા સાધુઓનું વિશેષ આકર્ષણ
શિવરાત્રી મેળામાં નાગા સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. તેઓ ધૂણાની આસપાસ સાધના કરીને શૈવ પરંપરાની અનોખી ઝલક રજૂ કરે છે. ભવનાથ તળેટીમાં સાધુ-સંતોની ઉપસ્થિતિથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે.
જૂનાગઢમાં ચાલી રહેલો શિવરાત્રી મેળો આધ્યાત્મિક પરંપરા, સાધના અને સંસ્કૃતિનું અનોખું સંમિશ્રણ બની રહ્યો છે, જ્યાં ધૂણો અને ભસ્મ શિવભક્તિનું જીવંત પ્રતિક બની રહ્યા છે.

