Junagadh: કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી રહેશે હાજર, આવો છે પ્રવાસનો શિડ્યુલ

જૂનાગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે યોજાઈ રહેલી 10 દિવસની પ્રશિક્ષણ શિબિરનો આજે બીજો દિવસ છે, જે ભવનાથ તળેટીના પ્રેરણાધામ ખાતે યોજાઈ રહ્યો છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સી.પી. જોશી શિબિરમાં હાજર રહ્યાં હતા. આવતીકાલે, 12 સપ્ટેમ્બરે લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધી પણ આ શિબિરમાં ભાગ લેશે.
દિલ્હીમાંથી સવારે 11:30 વાગ્યે નીકળીને રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર બપોરે 1:30 વાગ્યે પહોંચશે અને ત્યાંથી જૂનાગઢમાં અઢી વાગ્યે પહોંચીને શિબિરમાં હાજર થશે. સાંજે 7:00 વાગ્યા સુધી જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને માર્ગદર્શન આપ્યા પછી, તેઓ બાય રોડ પોરબંદર 9:00 વાગ્યે પહોંચશે અને ત્યાંથી રાત્રે 11:00 વાગ્યા આસપાસ દિલ્હી પરત પહોંચશે.
રાહુલ ગાંધીના પ્રવાસને કારણે સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કેશોદ એરપોર્ટથી જૂનાગઢ સુધી અને જૂનાગઢથી પોરબંદર સુધી પોલીસ બંદોબસ્ત માટે વ્યાપક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 10 દિવસ દરમિયાન આ શિબિરમાં કોંગ્રેસના અનેક રાષ્ટ્રીય નેતાઓ માર્ગદર્શન આપવા આવશે.

